હિન્દુ પુરુષ બીનવસિયતે અવસાન પામે ત્યારે તેની મિલકતોની વહેંચણી નીચેના ક્રમ મુજબ થાય છે.
(1). પ્રથમ ક્રમે : પહેલા સમૂહમાં સમાવેશ થતા વારસો બને છે પરંતુ પહેલા સમૂહના વારસદારો ન હોય તેવા સંજોગોમાં બીજા સમૂહના વારસદારો તેવા અવસાન પામનાર વ્યકિતના વારસદારો બને છે.
(૨). બીજા ક્રમે:- પ્રથમ સમૂહના કોઈ વારસદારો ન હોય ત્યારે બીજા સમૂહમાં સમાવેશ થતાં વારસદારો. (બીજા સમૂહમાં સમાવેશ થતા વારસદારો ઉપ૨ વર્ગીકરણમાં દર્શાવેલ છે). પરંતુ જ્યાં સુધી પ્રથમ સમૂહના વારસદાર હોય તો બીજા સમૂહના વારસદારોને અવસાન પામનાર હિન્દુ પુરૂષની મીલકતમાં હકક, અધિકાર પ્રાપ્ત થતો નથી.
(૩). ત્રીજા ક્રમે : પ્રથમ સમૂહ અને બીજા સમૂહના કોઈપણ વારસો ન હોય તો અવસાન પામનાર વ્યકિતના ગોત્રજ (ગોત્રજ એટલે કોઈ બે વ્યકિતઓ માત્ર પુરૂષો દ્વારા યા દત્તક વિધાનનું સગપણ ધરાવતા હોય તો તેઓ એકબીજાના ગોત્રજ કહેવાય).
(૪). છેવટના ક્રમેઃ– પ્રથમ સમૂહના, બીજા સમૂહના અને ત્રીજા ક્રમ મુજબના કોઈ ગોત્રજ ન હોય તો અવસાન પામનાર વ્યકિતના બંધુને (બંધુ એટલે કોઈ બે વ્યકિતઓ લોહીનું યા દત્તક વિધાનનું સગપણ ધરાવતા હોય, પરંતુ તે માત્ર પુરૂષો દ્વારા ન હોય તો તેઓ એકબીજાના બંધુ કહેવાય)
હિન્દુ પુરૂષ બિનવસિયત ગુજરતા તેની મીલકતોમાં વારસદારોના મળવાપાત્ર હિસ્સા :
પ્રથમ સમૂહના વારસદારોમાં અવસીયતી ગુજરનાર હિન્દુ પુરૂષની મીલકતોની વહેંચણી નીચે જણાવેલા નિયમો મુજબ થાય છે.
બિનવસીયતે અવસાન પામનાર હિન્દુ પુરૂષની વિધવાને એક ભાગ મળશે, પરંતુ તેવા પુરૂષની એકથી વધુ વિધવાઓ હોય તો તમામ વિધવાઓને એક સાથે મળીને એક ભાગ મળશે. બિનવસીયતે અવસાન પામનાર હિન્દુ પુરૂષના તેના દરેક પુત્રો અથવા પુત્રીઓની શાખાના વારસદારોને તેઓ દરેકનો એક ભાગ મળશે.
ગુજરનાર હિન્દુ પુરુષની પત્ની યાને વિધવાને વારસાઈથી મળવાપાત્ર હિસ્સો:—
જ્યારે કોઈ હિન્દુ પુરૂષ બિન વસીયતે અવસાન પામે ત્યારે તેની પત્ની યાને વિધવાને તે સંજોગોમાં ગુજરનાર પતિની મીલકતમાંથી પ્રથમ સમૂહના વારસદાર તરીકે તેના સાસુ અને તેના સંતાનો સાથે સરખા ભાગે મીલકતની વહેંચણી થાય છે. બિનવસીયતે અવસાન પામનાર હિન્દુ પુરૂષની પત્ની ધાને વિધવાને પ્રથમ સમૂહના અન્ય વારસદારો સહિત સરખો હિસ્સો પ્રાપ્ત થાય છે.
ગુજરનારના દરેક પૂર્વમૃત પુત્ર અથવા દરેક પૂર્વમૃત પુત્રીના વારસદારોને તમામને તેઓના ગુજરનાર પિતા અથવા ગુજરનાર માતાને જે હક્ક મળવાપાત્ર હોય તે તમામ વારસદારોને સંયુક્ત રીતે મળે.
જ્યાં સુધી કલાસ–૧ના વારસદારો હયાત હોય ત્યાં સુધી કલાસ-૨ના વારસદારોને મીલકત મળવાપાત્ર થતી નથી અને તેજ રીતે કલાસ-૧ના વારસદારો હયાત નહોય તો કલાસ-૨ના વારસદારોને મીલકત મળવાપાત્ર થાય અને તે રીતે જ્યાં સુધી આંગળના કલાસના વારસદારો હયાત હોય ત્યાં સુધી પછીના કલાસના વારસદારોને મીલકત મળવાપાત્ર થતી નથી.
કોઈપણ હિન્દુ સ્ત્રી બિનવસિયત ગુજરી જાય તો તેની મીલત હિન્દુ સકસેશન એકટની કલમ-૧૫ મુજબ (એ) પ્રથમ વર્ગમાં દીકરાઓ, દીકરીઓ (ગુજરનાર દીકરા અને દીકરીઓના બાળકોનો સમાવેશ થાય છે.) તથા ગુજરનાર હિન્દુ સ્ત્રીના પતિ. (બી) બીજા ક્રમે ગુજરનાર હિન્દુ સ્ત્રીના પતિના વારસો (સી). ત્રીજા ક્રમે ગુજરનાર હિન્દુ સ્ત્રીના માતા અને પિતા (ડી). ચોથા ક્રમે ગુજરનાર હિન્દુ સ્ત્રીના પિતાના વારસો અને (ઈ) છેલ્લે ક્રમે ગુજરનાર હિન્દુ સ્ત્રીના માતાના વારસોને પ્રાપ્ત થાય છે.
ઉપર જણાવ્યું હોવા છતાં, જો ગુજરનાર હિન્દુ સ્ત્રીને મીલકત તેના પિતા અથવા માતા તરફથી વારસામાં પ્રાપ્ત થયેલ હોય તો જો ગુજ૨ના૨ હિન્દુ સ્ત્રીને કોઈ પુત્ર અથવા પુત્રી (ગુજરનાર પુત્ર અથવા પુત્રના બાળકો સહિતનો સમાવેશ થાય છે) તે ન હોય તો તેવા સંજોગોમાં ગુજરનાર હિન્દુ સ્ત્રીની મીલકત ઉપર જણાવ્યા મુજબના ક્રમે વારસદારોને પ્રાપ્ત થતી નથી પરંતુ ગુજરનાર હિન્દુ સ્ત્રીના પિતાના વારસદારોને પ્રાપ્ત થાય છે.
ગુજરનાર હિન્દુ સ્ત્રીના બાળકો પૈકી કોઈ ગુજરી ગયેલ હોય અને તેઓના બાળક હયાત હોય તો તેવા સંજોગોમાં તેવા ગુજરનાર દીકરા અથવા દીકરીના બાળકોને ગુજરનાર હિન્દુ સ્ત્રીના દીકરા કે દીકરી હયાત હોય અને તેઓને મળવાપાત્ર હિસ્સો હોય તે પ્રાપ્ત થાય.
નિયમ-3 : ગુજરનાર હિન્દુ સ્ત્રીની મિલકત ઉપર જણાવ્યા મુજબ બી, ડી અને ઈના વારસોને તથા ઉપર જણાવ્યા મુજબ ગુજરનાર હિન્દુ સ્ત્રીને પિતા તરફથી, માતા તરફથી કે પતિ તરફથી વારસામાં મિલકત પ્રાપ્ત થયેલ હોય તો તેની વહેંચણી વારસોને ગુજરનાર હિન્દુ સ્ત્રીના મૃત્યુ વખતે જે તે વ્યક્તિ ગુજરી જાય અને તેના વારસદાર તરીકે વહેંચણીમાં જે રીતે મિલકત પ્રાપ્ત થતી હોય તે મુજબની વહેંચણી મુજબ પ્રાપ્ત થાય.
હિતેષભાઈ આપને તથા ગુજરાત મેઈલના વાચકોને ઉપરોક્ત માહિતી ઉપયોગી થશે તેવી આશા સાથે.