અમદાવાદ
દરેક વ્યક્તિ પાસેથી જીવનમાં હંમેશાં સતત શિખતા રહો એવો મંત્ર નિતિશ પી. અગ્રવાલે આત્મસાત કર્યો છે અને આ જ તેમનો સંદેશો પણ છે.
નેક્સરાઈઝ ગ્રૂપના મેનેજીંગ ડિરેકટર નિતિશ પી. અગ્રવાલે ‘ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો જન્મ મુંબઈમાં અને ઉછેર અમદાવાદમાં થયો છે. મેં આનંદનિકેતન સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ધો.3માં હું અન્ય એક સ્કૂલમાં ભણતો હતો પરંતુ મને છેલ્લી બેન્ચ પર બેસાડવામાં આવતો હોવાથી મારો અભ્યાસ બગડતા છેવટે અમે પોતાની સ્કૂલ આનંદનિકેતન શરૂ કરી. હાલમાં આનંદનિકેતનની 11 બ્રાન્ચ છે. એમબીએ નિમ્સમાંથી કર્યું હતું. મેં બહુ નાનપણથી કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. હું ધો.10માં હતો ત્યારે અમારી પોતાની સાઇટ પર મેં કન્સ્ટ્રક્શન સાઇટ સુપરવાઇઝર તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ મેં રિસેપ્શનિસ્ટ, કલાર્ક, એકાઉન્ટસ, સેલ્સ વગેરે વિભાગોમાં કામ કર્યું હતું. મેં પ્રોપર્ટી શોમાં કામ કર્યું હતું અને તેનાથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો હતો. હાલમાં મારી વય 32 વર્ષ છે અને મેં જુદા જુદા આઠ ઉદ્યોગોમાં કામ કર્યું છે અને નેક્સરાઇઝ, ટી3 અર્બન ડેવલપર્સ, એજીસી ઇન્ફોટેક, બીએનઆઈ, વિહાન એજ્યુકેશન ફાઉન્ડેશન જેવી 25 કંપનીઓ સાથે સંકળાયેલો છું. મારે 40 વર્ષની વયે નિવૃત્ત થવું છે. નિવૃત્ત થયા બાદ હું મેન્ટોરી તરીકે કામ કરીશ, જોકે કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિ નહિ કરું.
તેમણે જણાવ્યું કે અમારી કંપની કન્સ્ટ્રકશન, એચઆર, આઈટી, શિક્ષણ, ગ્રીન પાવર, હોસ્પિટાલિટી, ઇન્ટીરીયર અૅન્ડ આર્કિટેકટ ક્ષેત્રમાં કાર્યરત છે અને ભારતના વિવિધ 19 શહેરોમાં અમારા પ્રોજેકટ્સ ચાલી રહ્યા છે. મને સતત શિખવું બહુ ગમે છે અને હું તો ટ્રાવેલિંગમાં પણ શિખું છું. હું જ્યારે 19 વર્ષનો હતો ત્યારે મેં વિવિધ ક્ષેત્રની બહુ સિનિયર વ્યક્તિઓ સાથે કામ કર્યું હતું. સ્ટાર્ટ-અપ્સને મેન્ટરીંગ કરવું મારી પેશન છે. અમારી 10 સભ્યોની ટીમમાં સીએ, આઈટી, ઓઈલ અૅન્ડ ગૅસ સહિત વિવિધ ક્ષેત્રના એક્સપર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. હું એક ઉદ્યોગસાહસિક છું અને વિવિધ પ્રકારના વેપાર કરીને નફો રળવામાં માનું છું અને તમે કેવી રીતે નફો રળો છો એ સૌથી અગત્યનું છે. અમે હંમેશાં કોઈપણ સમસ્યાનું મૂળ શોધીએ છીએ. રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં અમે આજ સુધીમાં એક કરોડ ચોરસ ફૂટનું બાંધકામ કર્યું છે અને હાલમાં 14.50 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ચાલી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે લોકડાઉન વખતે અમે 1.80 લાખ લોકોને ભોજન આપ્યું હતું. અમે આજ સુધીમાં બે લાખ વૃક્ષારોપણ કર્યું છે. મને મેન્ટરીંગ અને ડ્રાઇવિંગનો બહુ શોખ છે. અમે ઓફરોડ ક્લબ આૅફ ગુજરાતની સ્થાપના કરી છે જેના સભ્યો જંગલ અને પહાડોમાં જીપમાં ડ્રાઇવિંગ કરવાની મજા લે છે. મારા પરિવારમાં પિતા પ્રફુલચંદ્ર અગ્રવાલ છે કે જેમનો જીવનમંત્ર છે ‘ આગળ વધો.’