દિલ્હી
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ફરી એકવાર આતંકવાદને માનવજીવન માટે નુકસાનરૂપ ગણાવ્યો છે. એનએસએ ડોભાલે ઉલેમાઓના એક કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે, ISIS પ્રેરિત કે સરહદ પારનો આતંકવાદ માનવ જીવન માટે ખતરારૂપ છે. આતંકવાદને આડા હાથે લેતા તેમણે કહ્યું કે, ધર્મના વાસ્તવિક સંદેશને પ્રસરાવવા ઉપર ભાર આપવો જોઈએ. ધર્મના આધારે આતંકને યોગ્ય ગણાવનારાઓને ક્યારેય માફ કરવા જોઈએ નહી.
ભારત અને ઈન્ડોનેશિયામાં આંતર-ધાર્મિક શાંતિ અને સામાજિક સમરસતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ઉલેમાની ભૂમિકા પર રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં એક કોન્ફરન્સને સંબોધતા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે કહ્યું કે, “જેમ તમે બધા જાણો છો તેમ, ભારત અને ઈન્ડોનેશિયા બન્ને આતંકવાદ અને અલગતાવાદનો શિકાર છે.
સરહદ પાર અને ISIS પ્રેરિત આતંકવાદની ઘટના માનવ જીવન માટે મોટો ખતરો છે. ‘આઇએસઆઇએસ દ્વારા પ્રેરિત વ્યક્તિગત આતંકવાદી જૂથો અને સીરિયા અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી પાછા ફરતા લોકોના જોખમનો સામનો કરવા માટે નાગરિક તેમજ સમાજનો સહકાર અત્યંત જરૂરી છે.’
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે અજીત ડોભાલે કહ્યું કે આજની ચર્ચાનો હેતુ ભારતીય અને ઈન્ડોનેશિયાના ઉલેમા અને વિદ્વાનોને એકસાથે લાવવાનો છે. જે સહિષ્ણુતા, સંવાદિતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે સહકારને આગળ વધારી શકે છે.
NSA ડોભાલે કહ્યું, ‘હિંસક ત્રાસવાદ, આતંકવાદ અને કટ્ટરપંથી વિરુદ્ધની લડાઈને મજબૂત બનાવશે.’ તેમણે કહ્યું, ‘ કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ધર્મના આધારે ઉગ્રવાદ, કટ્ટરતા ફેલાવવાને કદાપી યોગ્ય અને ન્યાયી ઠેરવી શકાય નહી. ધર્મના આધારે આતંક ફેલાવવો તે વિકૃતિ છે. આવી પ્રવૃતિ સામે અવાજ ઉઠાવવો જરૂરી બની જાય છે. ઇસ્લામના અર્થની વિરુદ્ધ ઉગ્રવાદ અને આતંકવાદ છે. પણ કેટલાક લોકો તેને ઓથ બનાવી રહ્યાં છે. વાસ્તવમાં ઇસ્લામનો અર્થ થાય છે શાંતિ, સલામતી અને લોકોનું કલ્યાણ. ધર્મ આધારિત આતંક ફેલાવનારા સામે લેવાતા પગલાઓને કોઈ ધર્મ સામે કાર્યવાહી તરીકે ના જોવી જોઈએ.
અજીત ડોભાલે કહ્યું કે, વિવિધ ધર્મમાં આપેયાલ માનવતા, શાંતિ, સલામતી અને લોક કલ્યાણના સંદેશને પ્રસરાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.