અમદાવાદ
આજે પણ કેટલાક સમાજમાં બાળલગ્નની પ્રથા જોવા મળી રહી છે. તેને અટકાવવાના અનેક પ્રયાસો થયા છતાં કંઈક ખૂટતું હોય તેમ કેટલાક સ્થળે આજે પણ આ પ્રથાના કિસ્સા નોંધાય છે..ટેકનોલોજીના આ યુગમા આ સમસ્યાને જળ મૂળમાંથી ઉખાડી ને ફેકવા આજના બાળકોમાં શિક્ષણ અને જાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો છે. ચાઈલ્ડ મેરેજ પ્રોહિબિશન ઓફિસર કમ ડિસ્ટ્રીકટ સોશિયલ ડિફેન્સ ઓફિસર એવા અરવિંદ રોહડિયાએ સમાજમાં આ મુદ્દા અંગે જાગૃતિનું એક અભિયાન છેડ્યું છે. જેમાં તેઓને સફળતા પણ મળી રહી છે.
અરવિંદભાઈએ બાળલગ્નને અટકાવવા માટે દ્વિ પક્ષીય અભિગમ અપનાવ્યો છે. અરવિંદભાઈ જાણે છે કે બાળકો ઉપર બાળલગ્નની કેવી કેવી નકારાત્મક અસરો પડે છે તેથી તે માત્ર જાગૃતિ ફેલાવવાનું કામ નહીં પરંતુ સાથે સાથે જ્યાં જરૂરિયાત જણાય ત્યાં બાળલગ્ન નાબુદી માટે ન્યાયિક કાર્યવાહીથી પણ કામગીરી કરે છે. સન ૨૦૧૮મા જ્યાર થી તેઓ કચ્છ જીલ્લામાં તેમની ફરજ બજાવે છે ત્યારથી તેઓ યુવા કિશોરીઓને સારૂ શિક્ષણ મળે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં કિશોરીઓને ઉત્કૃષ્ટ તકો મળે તેના સૌથી મોટા હિમાયતી રહ્યાં છે. તેઓ આ ઉત્તમ કામગીરી માટે સરકારી વિભાગો અને બિન-સરકારી સંસ્થાઓને સંકલિત કરીને કિશોરીઓના શિક્ષણ સહિતના ક્ષેત્રના વિકાસ માટે કાર્યરત છે.
અરવિંદભાઈ સ્થાનિક અગ્રણીઓના મહત્વને પણ સારી રીતે સમજે છે. જેથી તેઓ ધાર્મિક અને સામાજિક અગ્રણીઓની મદદ લઈને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. તેમને સંસ્થાઓનું એક મજબૂત નેટવર્ક પણ બનાવ્યું છે. જે બાળ સુરક્ષાના મુદ્દાઓ પર કામ કરે છે.કચ્છ જિલ્લા સરપંચ સંગઠન, કચ્છ મહિલા વિકાસ સંગઠન, યુનિસેફ અને ચાઈલ્ડ રાઇટ્સ એન્ડ યુ (CRY)ના સહકારથી તેમણે યુવા કિશોર સશક્તિકરણ અને શિક્ષણના મુદ્દાઓ પર જાગૃતિ અભિયાનનું નેતૃત્વ કર્યું છે. આ ઉપરાંત અરવિંદભાઈ કિશોરીઓ વધુ ને વધુ શિક્ષણ મેળવતી થાય તે માટે સૌથી વધુ પ્રયાસ કરે છે.
અરવિંદભાઈ અરવિંદભાઈ પ્રભાવી અધિકારી તરીકેની ભૂમિકા પણ ભજવે છે. એવા પરિવારો સુધી પહોચે છે જ્યાં બાળકો વધુ સંવેદનશીલ હોય અને વ્યૂહાત્મક રીતે તેવા પરિવારોને બાળ લગ્ન દ્વારા બાળકો પર પડતા જોખમો વિષે માહિતગાર કરે છે. તેઓને જયારે માહિતી મળે કે કોઈ જગ્યાએ બાળલગ્ન યોજાવા જઈ રહ્યા છે, ત્યારે ત્વરિત પગલાં લેતા તેઓ સીધા વર અને કન્યાની ઉંમર ચકાસવા માટે કાર્યવાહી શરૂ કરે છે અને કાયદા દ્વારા સૂચવ્યા મુજબ તેઓ આગળના પગલાં ભરે છે.
તેઓ ચોક્કસ પણે માને છે કે ચાર મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં રાખી વ્યૂહરચના બનાવવામાં આવે તો બાળલગ્નના કુરિવાજને નાબૂદ કરી શકાય છે. જેમાં પ્રથમ, વિસ્તાર વિશિષ્ટ હસ્તક્ષેપ વ્યૂહરચના; બીજું, સરકારશ્રીની વિવિધ યોજનાઓ સાથેનું જોડાણ; ત્રીજું, જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન; અને ચોથું બાળકોના વિકાસ માટે ગુણવત્તાસભર શિક્ષણ અને તેની પહોચ. આમ આ મુખ્ય ચાર વ્યૂહરચના દ્વારા બાળલગ્નને રોકવામાં આપણે ચોક્કસ સફળ થઇ શકીએ છે.
અમે સમુદાય સાથે કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી લોકો કિશોરીઓને શિક્ષિત કરવાનું મહત્વ સમજી શકે અને નાની ઉમરે તેમના લગ્ન કરાવવાથી ઉભા થતા સંભવિત જોખમોથી અવગત કરાવી તેઓને સમજાવી શકાય .” > અરવિંદભાઈ રોહડિયા