21મી સદીએ ચિંતા નો યુગ છે. આજના મનુષ્યએ ઝડપી યુગ સાથે પોતાની ઝડપ પણ વધારી છે. આ ઝડપ ના લીધે જીવનના દરેક પાસાઓમાં સંતુલન રાખવું મુશ્કેલી ભર્યું બની જાય છે. લાંબા ગાળે જો આ અસમતુલા ચાલુ રહે તો તેની અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. મનોવિજ્ઞાનિક ભાષામાં તેને “મનોભાર” કહેવાય છે. આવા મનોભારની અસર વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ થાય છે. આવા રોગોને “મનો-શારીરિક” રોગો કહેવાય છે. જેમાં હૃદય સંબંધિત વિકારો, દમ, ડાયાબિટીસ, જઠરના ચાંદા અને બ્રેનસ્ટોક જેવા વિવિધ રોગોનો સમાવેશ થાય છે. બ્લડપ્રેશર તો જાણે આજે સામાન્ય બીમારી બની ગઈ છે. એના પાછળ મૂળ કારણ હોય તો એ ચિંતા છે. વધારે ગુસ્સો કરતી વ્યક્તિમાં પેટ સંબંધિત વિકારો વધારે જોવા મળે છે અને ટાઈપ-૨ ડાયાબિટીસ પણ મોટેભાગે મનોભાર સાથે જ સંકળાયેલ છે. ઘણા અધ્યાયનોમાં સાબિત થયું છે કે વ્યક્તિના મનોભારને ઘટાડવામાં આવે તો મનો-શારીરિક રોગોમાં પણ રાહત જોવા મળે છે. આવા તો અનેક રોગો છે જે વ્યક્તિને માનસિક કારણોને લીધે શારીરિક અસર પહોંચાડે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના અનુસાર માનસિક સ્વાસ્થ્ય એટલે “વ્યક્તિની સામાજિક માનસિક શારીરિક તેમજ આધ્યાત્મિક દ્રષ્ટિએ સારાપણા હોવાની અવસ્થા”. માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ તો આમ તો સાર્વત્રિક છે પણ સામાજિક પરિસ્થિતિ અને સામાજિક રૂઢિઓ બદલાતા માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ પણ બદલાય છે. એક સામાન્ય ઉદાહરણ ની વાત કરીએ તો અમુક સમાજની અંદર શરાબનું સેવન એ સામાન્ય વાત છે જ્યારે અમુક સમાજની અંદર શરાબ સેવનને અસામાન્ય બાબત ગણવામાં આવે છે.
માનસિક સ્વાસ્થ્ય સુધારવાના ઉપાયો.
આજના સમયમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવું એક મોટો પડકાર છે. આજના ઇન્ટરનેટ યુગમાં દરેક પાસે માનસિક સ્વાસ્થ્ય સુધારવાના ઉપાયોની જાણકારી હોવી એ સામાન્ય વાત છે. પરંતુ વ્યક્તિ તે ઉપાય ને અમલમાં મુક્તિ નથી. આજે પાંચ એવા સરળ ઉપાયો વિશે જાણીએ તેના પર ધ્યાન આપવામાં આવે તો આપણી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધાર લાવી શકાય.
(1) આહાર | ફાસ્ટ ફૂડના સમયમાં હેલ્થી ફૂડ તરફનું વલણ વિકસાવું ખૂબ જ મહેનત માંગે તેવું કાર્ય છે. પરંતુ જે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હશે તે વ્યક્તિ જરૂરથી પોતાની ફાસ્ટ ફૂડની માત્રામાં ઘટાડો કરી શકે. આહારમાં સમતોલન જાળવવું ખૂબ જ જરૂરી છે. દિવસ દરમિયાન એવું ભોજન લેવું જોઈએ જેમાંથી જરૂરી માત્રામાં મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, ચરબી અને દિવસ દરમિયાન કાર્ય કરવા માટે જરૂરી માત્રામાં કેલરી મળી રહે તે જરૂરી છે. વ્યક્તિ એ તાજો, હળવો અને ઝડપથી પચે તેવો ખોરાક લેવો જોઈએ. ઋતુમાં આવતા પરિવર્તન સાથે ખોરાકમાં પણ બદલાવ કરતા રહેવું જોઈએ. પેકેટ અને લારીના ફૂડ કે નાસ્તાથી દૂર રહેવું જોઈએ.
(2) કસરત અને યોગ | નિયમિત કસરત માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. કસરત કરવાથી લોહીનું પરિભ્રમણ સ્નાયુ અને મગજ સુધી વધે છે. લોહીમાં રહેલ પ્રાણવાયુ આપણા શરીરના કોષોને જઈને મળે છે અને કોષો વધારે સક્ષમ બને છે. નિયમિત કસરત કરનાર વ્યક્તિના સ્નાયુઓ પણ મજબૂત બને છે. વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછી 30 મિનિટ કસરત માટે સમય ફાળવવો જોઈએ. ધ્યાન અને યોગ ની ભેટ ભારતે જ વિશ્વને આપેલ છે. ધ્યાન અને યોગના પરિણામે શરીર અને મન તનાવ રહિત થાય છે. ધ્યાનના પરિણામે મગજના આલ્ફા તરંગો ઉદભવે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી શરીરને ફાયદાકારક સ્ત્રાવો ઝરવાનું પ્રમાણ વધે છે. ધ્યાનથી મનને પરમ શાંતિનો અનુભવ થાય છે.
(3) સકારાત્મક અભિગમ | સકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ હંમેશા જીવન પ્રત્યે આશાવાદી વલણ ધરાવે છે. જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાંથી પણ બહાર આવવામાં સકારાત્મક અભિગમ વ્યક્તિને મદદ કરે છે. આપણે પહેલા પાણીના અડધા ભરેલા ગ્લાસનો ઉદાહરણ તો ખ્યાલ જ છે. નકારાત્મક વ્યક્તિ હંમેશા જીવનના ખરાબ પાસા ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે આશાવાદી વ્યક્તિ ગ્લાસને અડધો ભરેલો જોવે છે. સકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ તનાવ મુક્ત અનુભવે છે. લોહીના ઉચા દબાણનું પ્રમાણ પણ ઘટે છે. સકારાત્મકતાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તણાવપૂણ અવસ્થામાં સતત હસતા રહેવાની ટેવ પાડવી જોઈએ.
(4) સંગીત | મનોવૈજ્ઞાનિકોએ પણ સંગીતપદ્ધતિને અપનાવી છે. સંગીત દ્વારા વ્યક્તિના મગજના તરંગોમાં ફેરફાર થાય છે. સંગીતને લીધે થયેલા ફેરફાર સંગીત બંધ થયાના ઘણા લાંબા સમય સુધી ટકી રહે છે. શરીર અને મન પર સંગીતની ઊંડી અસર પડે છે. સંગીતથી એકાગ્રતામાં વધારો થાય છે. સંગીતથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. મનુષ્યના ચેતાતંત્રમાં પણ સંગીતની સકારાત્મક અસર થાય છે. હવે તો અમુક પ્રકારના રોગો જેવા કેન્સર, ખીનતા અને અનિંદ્રા માટે પણ સંગીતપદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.
(૫) સમયનું વ્યવસ્થાપન | ઝડપી સમયમાં વ્યક્તિની પણ ઝડપ વધી છે. છતાં દરેક વ્યક્તિ પોતાના પાસે સમય નથી એવી ફરિયાદ કર્યા કરે છે. દરેક વ્યક્તિને કુદરતે સરખો સમય આપ્યો છે. વ્યક્તિને મળેલા આ સમયનો ઉપયોગ તે કેવી રીતે કરે છે તેના આધારે તેનું માનસિક સ્વાસ્થ્ય નક્કી થાય છે. ટાઈમ મેનેજમેન્ટ ન કરી શકનાર વ્યક્તિ પોતાના રોજબરોજના કાર્યો જેવા કે ખોરાક લેવો, આરામ કરવો વગેરે માટે પણ પૂરતો સમય આપી શકતો નથી. જેને લીધે તેની જીવનશૈલી ખોરવાય છે. યોગ્ય રીતે સમયનું વ્યવસ્થાપન કરી શકનાર વ્યક્તિ પોતાના બધા જ કાર્ય સાથે આરામ, મનોરંજન , સામાજિક-પારિવારિક સંબંધો માટે પણ સમય ફાળવી શકે છે. પરિણામે તેનું મનો-શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે.
આ ઉપરાંત પણ માનસિક શારીરિક સ્વાસ્થ્ય જાળવવાના અને ઉપાયો છે પરંતુ જો સામાન્ય ઉપાયોને પણ અમલમાં મૂકવામાં ન આવે તો તેનો કોઈ અર્થાત નથી.