• જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસના વકીલ બાદ મુખ્ય પક્ષકારની પીછેહઠ
    રાષ્ટ્રીય 5-6-2023 09:51 AM
    • મુખ્ય પક્ષકાર અને વિશ્વ વૈદિક સનાતન સંઘના સંસ્થાપક જિતેન્દ્ર સિંહ બિસેને જ્ઞાનવાપી સાથે સંકળાયેલા તમામ કેસથી ખુદને અલગ કરવાની જાહેરાત કરી
    ન્યુ દિલ્લી

    જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસના મુખ્ય પક્ષકાર અને વિશ્વ વૈદિક સનાતન સંઘના સંસ્થાપક જિતેન્દ્ર સિંહ બિસેને જ્ઞાનવાપી સાથે સંકળાયેલા તમામ કેસથી ખુદને અલગ કરવાની જાહેરાત કરી દીધી છે. અગાઉ જિતેન્દ્ર સિંહના વકીલ શિવમ ગૌડે પણ આ કેસથી હાથ પાછો ખેંચી લીધો હતો. જિતેન્દ્ર સિંહે એક નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે હું અને મારો પરિવાર જ્ઞાનવાપી સાથે સંકળાયેલા તમામ કેસથી ખુદને અલગ કરવાની જાહેરાત કરીએ છીએ, જે દેશ અને ધર્મના હિતમાં અમારા પરિવારે જુદી જુદી કોર્ટમાં દાખલ કર્યા હતા. આ કેસ દાખલ કરાયા બાદથી મને અને મારા પરિવારને દરેક રીતે હેરાન કરવામાં આવ્યા. આ ધર્મયુદ્ધને લડતા લડતા અમારા જ સમાજ દ્વારા અમને ગદ્દાર જાહેર કરાયા.

    તેમણે કહ્યું કે સરકારે અમને ફક્ત હેરાન જ કર્યા છે. એવામાં શક્તિ અને સામર્થ્ય મર્યાદિત હોવાને લીધે આ ધર્મયુદ્ધને હું હવે વધારે લંબાવી શકું તેમ નથી. એટલા માટે હું આ યુદ્ધ છોડી રહ્યો છું. આ ધર્મયુદ્ધને શરૂ કરી કદાચ મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી.  તેમણે કહ્યું કે આ સમાજ ફક્ત ધર્મના નામે નૌટંકી કરીને સમાજને ભ્રમિત કરનારા લોકોને જ ટેકો આપે છે. પોતાનું સર્વસ્વ બલિદાન આપી દેશ અને સમાજની રક્ષા કરવાનું બિડું ઉપાડનારા વ્યક્તિને પોતાના જ સમાજ દ્વારા ઉપેક્ષિત અને અપમાનિત કરાય છે, હવે મારાથી વધારે સહન થતું નથી.

    જિતેન્દ્ર સિંહના વકીલ શિવમ ગૌડે એક નિવેદનમાં જણાવ્યું કે હું જ્ઞાનવાપી મામલે 2021થી અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે 2022થી સતત દલીલો કરી રહ્યો છું અને લગભગ એક વર્ષથી દિલ્હીથી મારું તમામ કામ છોડી જ્ઞાનવાપીના કેસને સંભાળી રહ્યો છું. તેમણે કહ્યુ કે મને જ્ઞાનવાપી સંબંધિત તમામ કેસ માટે જિતેન્દ્ર સિંહ બિસેને જ વકીલ નિયુક્ત કર્યા હતા પણ છેલ્લા કેટલાક સમયથી અસ્પષ્ટ ચર્ચા અને સંપર્ક ન થવાને લીધે આ બંને કેસથી વકીલ તરીકે હું હટી રહ્યો છું. મે 2022થી અત્યાર સુધી મેં આ કેસની કોઈ ફી લીધી નથી. ઉલ્લેખનીય છે કે જિતેન્દ્ર સિંહ બિસેન જ્ઞાનવાપી પરિસર સ્થિત માતા શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શનની પૂજાની માગ કરનારા કેસના મુખ્ય પક્ષકાર રહ્યા છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.