ગાંધીનગર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા જળસંચયને આગળ ધપાવવા રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી અનેકવિધ નવતર પગલાંઓ હાથ ધર્યાં છે. પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવી જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરીને પાક બચાવવામાં તેમજ રવિ સિંચાઈમાં પાણીને ઉપયોગ કરી શકાય. આમ, ખેતતલાવડીમાં સંગ્રહિત પાણી થકી ખેડૂતોના પાકને પૂરક સિંચાઇ કરી વધુ પાક ઉત્પાદન મેળવી ભૂગર્ભજળનો વપરાશ ઘટાડી શકાશે.
આ માટે રાજ્યના પાણીની અછતવાળા દસ જિલ્લાઓમાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી બનાવેલ ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી લાભ આપવાનું નક્કી કરાયું છે. આ યોજના અંતર્ગત હાલમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ સહિત કુલ ૧૦ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડુત ખાતેદારોએ વેબસાઇટ g-talavadi.gujarat.gov.in પર તા. ૦૫/૦૬/૨૦૨૩થી તા. ૨૬/૦૬/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકાદીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યાની મર્યાદા માટે ઓનલાઇન ડ્રો કરવામાં આવશે અને ડ્રો દરમિયાન પસંદ થયેલ અરજીઓનું ફિલ્ડ વેરીફીકેશન કર્યા પછી યોગ્ય કિસ્સાઓ માટે લાભાર્થી નક્કી કરાશે. અરજી કરવાથી માંડીને ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઇન સ્વરૂપે જ સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી કરવામાં આવશે. અરજકર્તા ખેડૂતોને SMSથી ડ્રો અંગેની જાણ પણ કરાશે તેમજ વેબસાઇટ પર પણ તેઓ આ અંગેની માહિતી મેળવી શકશે એમ નર્મદા, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે ખેતતલાવડીની ઉપરના ભાગે મહત્તમ સાઇઝ ૪૦ x ૪૦ મીટર અને મહત્તમ ૬ મીટર ઉંડાઇ (૧.૫:૧નો ઢાળ) જરૂરી છે. તે મુજબ રાજ્ય સરકાર દ્વારા સરકારી ખર્ચે મહત્તમ ૨,૪૬૦ ચો.મીટર જથ્થામાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે. સંજોગોવશાત ખેડૂતો દ્વારા વધારે ખોદાણ કરવામાં આવેલ હશે એટલે કે ખેત તલાવડીની સાઇઝ વધારે હશે તો નિયત મહત્તમ મર્યાદા કરતાં જેટલા જથ્થામાં જીઓમેમ્બ્રેન વધારે વપરાશે તેનો ખર્ચ સંબંધિત ખેડૂત ખાતેદારે ભોગવવાનો રહેશે.
ઓનલાઈન અરજીમાં ખેડૂત ખાતેદારે દ્વારા જરૂરી વિગતો પૂરી પાડવાની રહેશે, જેમાં ખેડૂતનું નામ, પૂરું સરનામું તથા મોબાઈલ નંબર, ખેડૂતના આધાર કાર્ડની નકલ આપવાની રહેશે. ખેત તલાવડી બનાવવા માંગતા હોય તે ખેતરનો સર્વે નંબર /બ્લોક નંબર તથા વિસ્તાર, ખેતરનાં ૭/૧૨ તથા ૮-અ ના ઉતારાની નકલ, જીઓમેમ્બ્રેન નાખવાની ચોરસમીટરમાં જરૂરિયાતની વિગત, સ્વખર્ચે ખેત તલાવડીનું ખોદાણકામ કરવા અંગે તેમજ તેની મરામત, સાફસફાઈ અને જાળવણી સ્વખર્ચે કરવા અંગેની બાંહેધરી પત્રક સહિતની વિગતોનો સમાવેશ થાય છે. આ કામગીરીને લગતી વધુ માહિતી g-talavadi.gujarat.gov.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે એમ વધુમાં જણાવાયું છે.