“બડા ભયા તો કયા ભયા, જૈસે પેડ ખજૂર,
પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર”.
કાશી સ્થિત કબીરજીએ પોતાની કબીરવાણી, દુહા, સાખી, વિગેરેમાં માનવજાતને કોઈ સારી શીખ કે બોધપાઠ મળે એવીજ વાતો વર્ણવેલી છે. એમના દરેક ઉદાહરણોમાં કોઈને કોઈ ગૂઢાર્થ છુપાયેલો જ હોય છે.
ઉપરોક્ત સાખીમાં કબીરજી કહે છે કે, ખજૂરનું ઝાડ ગમે તેટલું ઊંચું હોય, પરંતુ તે કોઈ કામનું હોતું નથી. કારણકે એક તો ખજૂરનું ઝાડ એટલું બધું ઊંચું હોય છે કે કોઈ સામાન્ય માણસ સહેલાઈથી ઝાડ ઉપર ચઢી શકે નહીં. બીજું એનાં ફળ એટલે કે ખજૂર પણ એટલાં બધાં દૂર લાગે છે કે કોઈને ખાવાની ઈચ્છા સરખી થતી નથી, વળી જો ભૂલેચૂકે ખજૂરનાં ઝાડ ઉપરથી પડ્યા તો તરત જ રામ રમી જાય છે.
બીજું ખજૂરનાં પાન એટલાં ટૂંકા હોય છે કે કોઈ મુસાફર ખજૂરનાં ઝાડ નીચે સૂઈ જાય તો એને છાંયો પણ મળતો નથી.હકીકતમાં કબીરદાસજીએ ઉપરોક્ત ઉદાહરણ દ્વારા માનવજાત ઉપર બહું મોટો કટાક્ષ કર્યો છે. જેમ કે કોઈ વ્યક્તિ મોટા પદ કે હોદ્દા ઉપર બિરાજમાન હોય, પરંતુ તે કોઈને મદદરૂપ ના થાય, કોઈ જરૂરિયાતમંદ ને નોકરી ના આપે, કોઈ વ્યક્તિ આર્થિક ભીંસમાં હોય તો એને સહાય ના કરે અને મિથ્યા ગુમાનમાં રાચે એનો કોઈ મતલબ નથી.
લોકો આવી વ્યક્તિઓથી દૂર ભાગે છે અને એમની પાસેથી કોઈ આશા કે અપેક્ષા રાખતા નથી. ખરેખર તો જે વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર જાય તો એ વધારે પડતો નમ્ર, વિનયી અને સહૃદયી બનવો જોઈએ અને પોતાના પદ અને પોઝીશનનો સદુપયોગ કરવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ ઉચ્ચ અધિકારી પાસે આશા લઈને જાય છે એ વ્યક્તિને સાંત્વના આપવાને બદલે એને ધુત્કારીને કાઢી મૂકે તો એ અધિકારીના પદ અને હોદ્દાની કોઈ કિંમત રહેતી નથી. માણસે લીમડાના કે વડના ઝાડ જેવાં બનવું જોઈએ કે એમના ઝાડ નીચે સૂવાથી છાંયો લાગે છે અને મુસાફરો શાંતિની નિંદર પણ લઈ શકે છે.
આમ કબીરદાસજીએ ખજૂરનાં ઉદાહરણ દ્વારા માનવજાતને બહું મોટો ચાબખો માર્યો છે.