• જીવનમાં મૂલ્યોનું મહત્વ અમૂલ્ય છે
    આર્ટિકલ 31-5-2023 11:34 AM
    લેખક: ડો. શપન શાહ
    જીવન હોય કે કામ, અંગત બાબત હોય કે બિઝનેસની કોઈ મેટર, અમુક વસ્તુઓ એવી હોય છે કે જેના વગર અા બધુ અધૂરું છે અને તે વસ્તુઓ વગર જીવન કે બિઝનેસમાં વ્યક્તિ અાગળ નથી વધી શકતી. અા વસ્તુઓ છે મૂલ્યો અને સિદ્ધાંતો. દરેકના જીવનમાં અમૂલ્ય મૂલ્યો અને સિદ્ધાંતો હોય છે. ઘણી વાર તે એક સમાન હોય છે અને અમુક વખત અલગ અલગ હોય છે.

    અમુક વખત અમુક વ્યક્તિઓને જોઈને અાપણને એવું લાગે કે અા વ્યક્તિઓના જીવનમાં નીતિ, મૂલ્યો, સિદ્ધાંતો જેવું કંઈ હશે જ નહિ. તેમને પૈસા સિવાય કંઈ દેખાતુ જ નહિ હોય. તેમને મન માણસની કોઈ વેલ્યુ જ નથી. પરંતુ એવું નથી હોતું. દરેકના જીવનમાં  અમુક સિદ્ધાંતો જરૂર હોય છે. પચી તે વ્યકિત કે તેનું કામ યોગ્ય હોય કે અયોગ્ય. જેમ કે, કોઈ વ્યક્તિ અયોગ્ય કામમાં હસે તો પણ તે અમુક નીતિ-નિયમોથી ચાલતા હશે તેમના કામ પ્રમાણે. અમુક વ્યક્તિ જે ખૂબ સારા કામ કરતી હશે તો તેના મૂલ્યો અને સિદ્ધાંતો તે રીતના હશે. પરંતુ દરેક વ્યક્તિના જીવનમાં અા મૂલ્યો અને સિદ્ધાંતો હોય છે તો ખરા જ.

    જીવનમાં વ્યક્તિ જેમ જેમ બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી જુવાન થાય છે તેમ તેમ તે પરિવારથી લઈને સમાજ સુધીના અલગ અલગ વાતાવરણમાં ભળે છે અને તેના અલગ અલગ અનુભવો કરે છે. અા અનુભવોથી તેના મનમાં અમુક માન્યતા બંધાય છે અને તે માન્યતા પ્રમાણે તેના અમુક મૂલ્યો, નીતિ-નિયમો અને સિદ્ધાંતો બને છે. જેમ કે, ગાંધીજીના સિદ્ધાંતોમાં એક સિદ્ધાંત અહિંસાનો હતો. રાજા હરિશ્ચંદ્ર સત્યવાહી હતા. એટલે જે અાપણે કોઈ વ્યક્તિ બહુ સાચુ બોલતું હોય તો તેને રાજા હરિશ્ચંદ્રની ઉપમા અાપીએ છીએ. એ એટલા માટે કારણ કે, અા લોકોએ પોતાનું જીવન પોતાના મૂલ્યો અને સિદ્ધાંતોની અાસપાસ વણેલું હતું. અા તમામ વ્યક્તિઓ એ જ પ્રમાણે જીવ્યા હતા.

    જ્યારે અાપણે કોઈ સફળ અને ધની વ્યક્તિને જઈએ છીએ ત્યારે અાપણે તેમના જીવનમાં કેટલા સુખ હશે અને તેમના ઘર, ગાડી અને જીવનની અમુક બીજી બધી લક્ઝરીઝ કેટલી હશે એ જોઈએ છીએ. અમુક વખત તેમની મહેનત જોઈએ છીએ, ખાસ કરીને તે કોઈ સ્પોર્ટ્સને લગતી વ્યક્તિ હોય. પરંતુ આવી સફળ વ્યક્તિઓ, ભલે તે રતન ટાટાની જેમ બિઝનેસમેન હોય કે વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની જેમ સ્પોર્ટ્સપર્સન હોય. જ્યારે તેમના ઇન્ટરવ્યુ આવે છે ત્યારે તેમને ઘણી જગ્યાએ આ જ સવાલ પૂછવામાં આવે છે કે, ‘તમારી સફળતાનું રહસ્ય શું છે?’, ‘તમારા જીવનના સિદ્ધાંતો શું છે?’ જ્યારે અાપણે તે જાણીએ છીએ ત્યારે અાપણને ખબર પડે છે કે, તે વ્યક્તિઓ પણ બાકીની વ્યક્તિઓની જેમ સામાન્ય વ્યક્તિ જ હતા. અા સિદ્ધાંતોને મહેનત સાથે વણીને તે અા લેવલ પર આવ્યા છે.

    કોઈ પણ વ્યક્તિ સિદ્ધાંત વગર જીવી નથી શકતી. અને જો કોઈ વ્યક્તિ મૂલ્યો કે સિદ્ધાંતો વગર જીવન જીવવાનો પ્રયત્ન કરે છે અથવા વારંવાર પોતાના મૂલ્યો અને સિદ્ધાંતો બદલ્યા કરે છે તો તે વ્યક્તિનું જીવન દિશાહીન બની જાય છે. કારણ કે, અા મૂલ્યો અને સિદ્ધાંતો અાપણા જીવનની દીવાદાંડી છે. તે અાપણને સાચો માર્ગ બતાવનાર તારો છે, જેને અાકાશમાં જોઈને દરિયામાં ખેવૈયાઓ દિશા નક્કી કરે છે. જીવનમાં જ્યારે પરિસ્થિતિ બદલાય, કઠિન બને ત્યારે એવું લાગે છે કે, અા સિદ્ધાંતો, મૂલ્યો અને નીતિ પ્રમાણે જીવવું વ્ય્થ છે. ઘણા લોકો કહે છે કે, અા કળયુગ છે, તેમાં દરેક વખતે નીતિનિયમો પ્રમાણે ના જીવાય.

    પરંતુ ભલે તે સતયુગ હોય કે કળિયુગ, અમુક બાબતોનું મહત્વ કોઈ પણ યુગમાં બદલાતુ નથી. સોનુ સતયુગમાં પણ મૂલ્યવાન ગણાતું અને કળિયુગમાં પણ મૂલ્યવાન ગણાય છે. સોનાનું મહત્વ ઓછુ નથી થતું. તે જ રીતે સમય ભલે બદલાય, અમુક બાબતોનું મહત્વ એટલું જ રહે છે. તેમાં કોઈ બદલાવ અાવતો નથી. સૂરજ સતયુગમાં પણ પૂર્વમાંથી ઉગતો હતો અને પશ્ચિમમાં અાથમતો હતો અને કળિયુગમાં પણ સૂરજ પૂર્વમાંથી જ ઉગે છે અને પશ્ચિમમાં અાથમે છે. તેણે યુગ બદલાય એમ પોતાની ઉગવાની અને અાથમવાની દિશા નથી બદલી.

    તે જ રીતે વ્યક્તિએ પણ પોતાના જીવનને મૂલ્યો અને સિદ્ધાંતોની ધરી પર રાખી જીવવું જોઈએ. એ બાબતને સ્વીકારી શકાય કે આજના સમયમાં દરેક સમયે અા રીતે જીવન જીવવું કદાચ શક્ય ના બને પરંતુ તે રીતે જીવવાનો પ્રયત્ન પણ ના થઈ શકે તે શક્ય નથી. જેમ કુદરત પોતાના સિદ્ધાંતોથી ચાલે છે તે જ રીતે સિદ્ધાંતો અને મૂલ્યોથી જીવન જીવનાર વ્યક્તિને કુદરત મદદ કરે છે. અા મૂલ્યો અને સિદ્ધાંતો એવા હોવા જોઈએ જેનાથી વ્યક્તિના પોતાના જીવનનો પણ ઉદ્ધા થાય અને તે મૂલ્યો અને સિદ્ધાંતોથી અન્ય વ્યક્તિઓના જીવનમાં પણ બદલાવ આવે. અને જ્યારે કોઈ વ્યક્તિ  આ મૂલ્યો અને સિદ્ધાંતો નક્કી કરે છે ત્યારે તેના માટે કોઈ પણ પરિસ્થિતિમાં નિર્ણય લેવું ખૂબ સરળ બની જાય છે. કારણ કે, જે વિકલ્પ તેના મૂલ્યોને અનુરૂપ હશે, વ્યક્તિ તે જ વિકલ્પ લેશે.

    અને એટલા માટે જીવનને અર્થપૂર્ણ બનાવવામાં મૂલ્યોનું મહત્વ અમૂલ્ય છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!