માયરા અને વિશ્વા બંને નાનપણની સખીઓ હતી. શાળાથી લઈને કોલેજ સુધીનો અભ્યાસ સાથે કર્યો. એમ કહો કે “બે દિલ એક જાન હતાં “ બંને હંમેશા સાથે જ હોય. પણ હવે માયરાનાં લગ્ન મનન સાથે થયા અને તેં મુંબઈ જતી રહી. હવે વિશ્વા એકલી થઈ ગઈ. બે વર્ષમાં વિશ્વા પણ પરણી ગઈ. બંનેની ફોન પર વાત થતી. પણ હવે એ પણ ઘટી ગઈ. હમણા ઘણા સમયથી બંને વચ્ચે વાત થઈ ન હતી.
આકાશ ખુલ્લું હતું પણ આજે માયરાનું મન ક્યાંય લાગતું ન હતું. તે મોલમાં શોપિંગ કરવા ઉપડી તો પાછળથી કોઈએ તેને અવાજ માર્યો. “માયરા” અને તેણે પાછળ જોયું તો તેની આંખોને વિશ્વાસ જ નહોતો બેસતો. સામે તેની જાનથી પ્યારી સખી વિશ્વા હતી. અરે!બંને સખી સજળ આંખે એકબીજાને ભેટી અને કોફી શોપમાં ગયા ઘણી વાતો કરી. વિશ્વા જોબ કરતી હતી. અને તેની બદલી હાલ મુંબઈ થઈ. આટલા વર્ષો પછી બંને મળતા ખુશ હતા.
હવે તો બંને સખીઓ ફોન પર રોજ વાતો કરતી. બંને એકબીજાનાં ઘરે જતાં. વિશ્વાનાં પતિનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. એ જાણી માયરા ઉદાસ થઈ. વિશ્વા એકલી જ રહેતી હતી.
માયરા અને મનન બંને ખુશ હતાં. પણ લગ્નનાં આટલા વર્ષો ગયા પણ માયરા મા બની શકી ન હતી. તેથી અંદરથી દુઃખી રહેતી હતી. માયરાને એક દિવસ વિચાર આવ્યો કે શું વિશ્વા મારા બાળકની મા બનશે? તેણે આ વાત માટે મનનને મનાવી લીધો. હવે વિશ્વા સાથે વાત કરવાની હતી. આજકાલ સરોગસીથી મા બનવું ખુબ સહેલું છે. તેણે વિશ્વાને કોલ કરી મળવા બોલાવી.
વિશ્વા માયરાનાં ઘરે આવે છે. બંનેએ ઘણી વાતો કરી પછી માયરાએ વિશ્વાનો હાથ પકડીને કહ્યું, “હું જો તારી પાસે થી કંઈક માંગુ તો આપીશ મને “? ત્યારે વિશ્વા બોલી, “માયરા મારી જાન, તારા માટે બધુ કુરબાન “ ત્યારે માયરા બોલી તારી જાન નહીં પણ તું સરોગસીથી મારા અને મનનનાં બાળકની મા બનીશ? આ સાંભળી થોડી વાર માટે વિશ્વા અવાચક થઈ ગઈ. પછી વિચારીને જવાબ આપવા ક્હ્યું.
ઘણો સમય વિચારીને અંતે વિશ્વા માયરાનાં બાળકની સરોગસી મા બનવા તૈયાર થઈ. આ સાંભળી માયરા અને મનન બંનેની ખુશીનો પાર ન રહ્યો.
સરોગસીની બધી જ પ્રક્રિયા પુરી કરી પુરા નવ મહિના પછી વિશ્વાએ માયરાનાં બાળકને જન્મ આપ્યો. માયરાની ખુશીનો તો કોઈ આરો ન હતો. માયરા વિશ્વા અને બાળકને પોતાના જ ઘરે લાવી.બાળકનું નામ “વિશ્વ” પાડયુ. કે જેણે વિશ્વાનાં એક નિર્ણયથી માયરા અને મનનનું જીવન બદલી નાખ્યું. માયરા તો વિશ્વને એક પળ માટે પણ પોતાનાથી દૂર કરતી ન હતી.
આજ સવારથી વિશ્વા ઉદાસ હતી. તે વિચારતી હતી કે નજીક રહીને હું વિશ્વને કયારેય માયરાને સોંપી નહીં શકું. તેણે એક ચીઠ્ઠી લખી અને વિશ્વ પાસે મુકીને વહેલી સવારે માયરા અને મનન અને પોતાના કાળજાનાં કટકાને છોડીને જતી રહી. આવું બલિદાન એક સ્ત્રી જ કરી શકે. વિશ્વાની મમતા જીતી ગઈ.પોતે દુઃખી થઈને કોઈના જીવનમાં સુખ આપતી ગઈ.
જયારે સવારે ઉઠીને માયરા અને મનને આ ચિઠ્ઠી વાંચી તો તેઓ ઘણા દુઃખી થયા. તેઓએ વિશ્વાને શોધવાની ઘણી કોશિશ કરી પણ વિશ્વા શહેર નહીં પણ દેશ છોડી ચુકી હતી.પોતાનાં શરીરનાં અંશને આમ બીજાને સોંપવો આવું કામ એક મા જ કરી શકે. જે મમતા ભરેલા હ્ર્દયથી બીજાનાં જીવનમાં ખુશી ફેલાવી શકે છે. એટલે જ કહેવાયું છે, “મા તે મા, બીજા વગડાના વા.”
માયરા અને મનનનાં જીવનરૂપી બાગમાં વિશ્વનું ફૂલ ખીલ્યું અને તેના જીવનને આનંદમય બનાવનારી વિશ્વાને સો સો સલામ.