“અંધ અને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો, અંધ એકાંગે, અજ્ઞ સર્વાંગે પાંગળો’’
ઉપરોક્ત સુભાષિતમાં બહુ મોટો કટાક્ષ અને ગૂઢાર્થ છુપાયેલો છે. અહીંયાં આ સુભાષિતના રચયિતા કવિનું દ્ઢપણે માનવું છે કે, જીવનમાં અંધ હોવું એ કુદરતી શાપ છે. અમુક વ્યક્તિઓ જન્મથી જ અંધ હોય છે, જ્યારે અમુક વ્યક્તિઓ કોઈ ગંભીર બિમારી, કોઈ અકસ્માત કે અન્ય કારણોસર અંધ બની જાય છે. મતલબ કે એમનું એક અંગ છિનવાઈ જાય છે. અંધ વ્યક્તિઓ માત્ર આંખોથી જ જોઈ શકતાં નથી, પરંતુ એમની બાકીની ઈન્દ્રિયો બહુ સતેજ હોય છે. બીજી તરફ જે વ્યક્તિ જીવનમાં અજ્ઞાની રહે છે , તે પોતાની જિંદગીમાં મોટામાં મોટી ભૂલ કરે છે. અજ્ઞાની માણસ પાસે તમામ ઈન્દ્રિયો કાર્યરત હોવા છતાં પણ જ્ઞાન વગરનાં હોવાને કારણે પાંગળો કે પંગુ ગણાય છે.
અંધ વ્યક્તિઓ ભલે આંખોથી દુનિયાને જોઈ શકતાં નથી, પરંતુ તેઓ મનથી આંખો જેવું કામ લઈને, દુનિયામાં ચાલતી તમામ ગતિવિધિઓથી અવગત થતાં રહે છે. બ્રેઈલ લિપિની મદદ વડે અંધજનો ભણીગણીને આગળ વધી શકે છે અને એમના વિકાસ કે પ્રગતિમાં ક્યાંય એમનું અંધત્વ આડે આવતું નથી. અંઘજનોની “ સેન્સ ઓફ હ્યુમર” બહું શક્તિશાળી હોય છે અને એ કળાને તેઓ પોતાના અનુભવો અને અનુભુતિઓથી વિકસાવે છે, કે જેથી તેઓને સામાન્ય જીવન જીવવામાં કોઈ મુસીબત કે તકલીફ પડતી નથી. ક્યારેય કોઈ અંધ વ્યક્તિને અકસ્માત થયો હોય એવું વાંચવામાં કે સાંભળવામાં આવ્યું નથી. અંધ વ્યક્તિઓ પણ આગળ વધીને દુનિયામાં નામ કમાયી ગયાં છે અને એનાં દ્રષ્ટાંત આપણી નજર સમક્ષ મોજૂદ છે. ભક્ત કવિ સૂરદાસજી અંધ હતાં છતાં એમણે એવાં સરસ અને સુંદર છંદોબદ્ધ પ્રભાતિયાં, પદો અને ભજનોની ઉત્કૃષ્ટ રચના કરી હતી જે આજે પણ લોકો વ્હેલી પરોઢે હોંશે હોંશે ગાય છે, વગાડે છે અને સાંભળે છે. હેલન કેલર જન્મથી જ અંધ, મૂક અને બધિર હતાં, છતાં પણ વિશ્વની આઠમી અજાયબી તરીકે જગવિખ્યાત થયા હતા. આપણી હિન્દી ફિલ્મોના મશહૂર ગીતકાર તથા સંગીતકાર શ્રી રવિન્દ્ર જૈન સાહેબ પણ પ્રજ્ઞાચક્ષુ હતા તેમ છતાં આપણને દિલડોલક અને કર્ણપ્રિય સંગીત તથા એક એકથી ચડિયાતા સુમધુર ગીતોની ભેટ આપણને આપી છે. રવિન્દ્ર જૈનની રામાયણ ધારાવાહિકની ચોપાઈઓ બહું વખણાયી હતી. સુપ્રસિદ્ધ પાર્શ્વ ગાયક મન્નાડેના કાકા કે સી ડે (કૃષ્ણ ચંદ્ર ડે) પણ અંઘ હતા છતાંય સારા ગાયક તરીકે ખ્યાતિ પામ્યા હતા. હસ્તિનાપુરના મહારાજા અને કૌરવોના પિતાશ્રી ધૃતરાષ્ટ્ર પણ જન્મથી અંધ હતા ત્હોયે રાજ સિંહાસન પર બેસીને સઘળો કારોબાર ચલાવતા હતા. આજે આપણે છાપામાં કે ટેલિવિઝન ઉપર અંધજનો દ્વારા ચાલતી ઓરકેસ્ટ્રા કે નાટ્ય મંડલી વિશે જાણી શકીએ છીએ, અંધ વ્યક્તિઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવે છે. આમ અંધ હોવું એ કોઈ અભિશાપ નથી, પરંતુ તેઓ એમની એ વિકલાંગતાને નજર અંદાજ કરે છે અને ઊંચી હામ રાખે છે એથી તેઓ નિ:શંકપણે આગળ વધી શકે છે. બીજી તરફ અજ્ઞાની કે જ્ઞાન વગરનાં વ્યક્તિ પાસે તમામ શક્તિઓ, સાધનો હાજર હોય, તમામ ઈન્દ્રિયો કાર્યરત અને સતેજ હોય, દરેક કામ કરવાને તેઓ સમર્થ હોય, પરંતુ એમની પાસે જ્ઞાનરૂપી અમૃતનો અભાવ હોવાથી તેઓ નિષ્ફળ, નિષ્ક્રિય અને આળસુ બની જાય છે. અજ્ઞાની પાસે પર્યાપ્ત જ્ઞાન હોતું નથી એથી એની સમજશક્તિ અને વિચારશક્તિ વિકસતી નથી તેથી તેઓ આગળ વધી શકતાં નથી. માટે જ સુભાષિતના રચયિતા એ બહું સમજી વિચારીને લખ્યું છે કે અંધજન કેવળ એકજ અંગથી પાંગળો છે, જ્યારે અજ્ઞાની કે જ્ઞાન વિહીન વ્યક્તિ સર્વ અંગોથી પાંગળો છે. આમ નાના સુભાષિતો પણ માનવજાતને બહૂ સારો બોધપાઠ શિખવી જાય છે.