પવિત્ર યાત્રાધામ અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ચાલુ વર્ષે 24 લાખથી વધુ દર્શનાર્થીઓ ઊમટી પડ્યાં હતા. આ ઉપરાંત ડિજિટલ માધ્યમથી વિશ્વના 20થી વધુ દેશમાંથી 27 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન અને મેળાનો લાભ લીધો હતો. અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોમાં વસતા ગુજરાતી પરિવારોએ ઓનલાઈન દર્શન અને મેળાનો લ્હાવો લીધો હતો.
રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓ અને દર્શનાર્થીઓની તમામ પ્રકારની સવલતો સુવિધાઓ સચવાય એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા કરવામાં આવ્યું હતું. જેના માટે આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી યાત્રાળુઓને મેળા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું.
યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા મહા મેળામાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. સૌ પ્રથમ વાર ઓનલાઇન રજીસ્ટ્રેશન, વાહન પાસ અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઘેર બેઠા માં અંબાના દર્શન કરી શકે એ માટે પ્રકારનું આયોજન કરી માઇભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
અત્યારનો સમય સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મનો છે. આંગળીના ટેરવે લોકોને મોબાઇલ સ્ક્રીન પર માહિતી મદદ અને જાણકારી મળી રહે એ માટે સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરી દર્શનાર્થીઓને વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની સાથે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી.જેનો મોટી સંખ્યામાં મેળામાં ઉમટેલા માઇભક્તોએ લાભ લીધો હતો. મેળા દરમિયાન જુદી જુદી જગ્યાએ જ્યાં યાત્રિકોનો મોટો ઘસારો રહેતો હોય એવા સ્થળોએ 12 જેટલી મોટી એલ.ઇ.ડી સ્ક્રીન અને 35 જેટલા ટીવી સ્ક્રીન માં દર્શન, આરતી, અગત્યની માહિતી, સરકારની લોકકલ્યાણ માહિતીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
શક્તિપીઠ અંબાજી દેશભર અને વિશ્વમાં વસતા માઇભક્તો માટે શ્રદ્ધા આસ્થાનું પ્રતીક છે. ભાદરવી પૂનમના મેળાનો વિશેષ મહિમા હોઈ લાખો યાત્રાળુઓ માં અંબાજીના ધામમાં ઉમટી પડતા હોય છે.ત્યારે અંબાજી ન આવી શકનાર માઇ ભક્તો ઘેર બેઠા માતાજીના દર્શન આરતી અને મેળાનો આનંદ માણી શકે એ માટે સમગ્ર મેળાનું સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું .જે અંતર્ગત વિશ્વભરના 20 જેટલા દેશમાં 27 લાખ શ્રદ્ધાળુઓએ ડિજિટલ માધ્યમ ફેસબુક, યુ ટ્યુબ , ટ્વિટર , વેબસાઈટ ના માધ્યમથી મેળાનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી ધન્યતા અનુભવી છે.તો આ વર્ષથી અંબાજી દેવસ્થાનનું ઇન્સ્ટગ્રામ પેજ પણ શરૂ કરાયું છે.જેનો બહોળી સંખ્યામાં યુવાવર્ગે લાભ લીધો હતો.