• જામનગરને જાહોજલાલીની નવી ઉંચાઇ પર લઇ જવું છેઃ પ્રધાનમંત્રી
    ગુજરાત 11-10-2022 06:30 AM
    • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરને રૂ.1448 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી
    • ‘ડોલ્ફીનના સંવર્ધન સાથે સાથે ઇકો-ટુરીઝમ થકી ગુજરાતમાં વિકાસની નવી મિસાલ કાયમ થશે’
    જામનગર

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે જામનગરને રૂ. ૧૪૪૮ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી હતી. આ પ્રસંગે  પ્રધાનમંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું કે, ભૂપેન્દ્ર-નરેન્દ્રની ડબલ એન્જીન સરકારે ગુજરાતમાં માળખાગત વિકાસ સાથે ખેડૂતોના ક્લ્યાણ માટે અવિરત ગતિએ વિકાસના કામો કર્યા છે. માં નર્મદા આજે સ્વયં પરિક્રમા કરી આશિર્વાદ આપી રહી છે તેમ જણાવી સૌની યોજના થકી સૌરાષ્ટ્રની બદલાયેલી તસ્વીરની ફળશ્રુતિ કહી હતી. ખેડૂતોને આજે તેની ઉપજના પુરા ભાવ મળી રહ્યા છે તેમ પણ સહર્ષ જણાવ્યું હતું.
     પ્રધાનમંત્રીએ રોડ-શો દરમ્યાન મળેલા બહેનો-માતાઓના આશીર્વાદનો ઋણસ્વીકાર કર્યો હતો અને ‘‘છોટી કાશી’’ એવા જામનગર ખાતે મળેલા સત્કાર થકી ભરૂચથી જામનગર સુધીના વિસ્તારને સમૃધ્ધ બનાવવાની નેમ વ્યકત કરી હતી. 

    જામનગરના આઠ પ્રકલ્પોની માહિતી પીએમ મોદીએ તેમના વક્તવ્યમાં વણી લીધી હતી. તાજેતરમાં જ ભુજીયા ડુંગર ખાતે નિર્માણ પામેલ સ્મૃતિવનની મુલાકાત લેવા પીએમ મોદીએ જામનગરવાસીઓને હિમાયત કરી હતી. જયાં વિનાશકારી ભૂકંપમાં શહીદ થયેલા જામનગરવાસીઓનો ઉલ્લેખ કરાયો છે. અન્ય વૈશ્વિક સ્મારકોની સમકક્ષ બનાવાયેલું આ સ્મૃતિવન ગુજરાતની ખમીરવંતી જનતાની ગૌરવપૂર્ણ ખુમારીનું પ્રતિક છે.

    બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન જામનગરના રાજવી શ્રી જામ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના નાગરિકોને આશ્રય આપ્યાનો સગર્વ ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ યુક્રેનના યુધ્ધમાં ભારતીય નાગરિકોને પોલેન્ડની ધરતી પરથી સુરક્ષિત પરત ભારત મોકલવાની શુભ ભાવના બદલ પોલેન્ડ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી અને જામનગરના હાલના રાજવી શ્રી શત્રુશલ્યજી મહારાજના દીર્ઘાયુ માટે શુભેચ્છા વ્યકત કરી હતી.  

    પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રદ કરેલા ૨૦૦૦થી વધુ કાયદાઓ અંગે જણાવ્યું હતું કે "ઈઝ ઓફ ડુઈન્ગ બિઝનેસ"ની નીતિ ને વરેલી રાજ્ય સરકાર  વેપારી આલમને મદદરૂપ થવા આ પગલું ભર્યું છે જેનાથી ગુજરાતની ખમીરવંતી પ્રજાને મોટો ફાયદો થશે. હાલના સમયને અનુરૂપ ન હોય તેવા આવા અન્ય કાયદાઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવા પીએમએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

    દેશને ૨૫૦ વર્ષ સુધી ગુલામ રાખનાર બ્રિટનને વૈશ્વિક અર્થતંત્રમાં છઠ્ઠા સ્થાનેથી પરાજિત કરી ભારતને પાંચમા સ્થાને પહોંચાડવાનું શ્રેય વડાપ્રધાનશ્રીએ સ્થિર અને મક્કમ ગતિથી આગળ વધતા ભારતીય અર્થતંત્ર તથા દેશના શ્રમિકો-વેપારીઓ-ખેડૂતોને આપ્યુ હતુ. તાજેતરમાં જ ગુજરાત રાજયએ અમલી બનાવેલી નવી ઔદ્યોગિક નીતિ થકી રાજ્યમાં નવા સ્ટાર્ટઅપ અને એમ.એસ.એમ.ઈ. સેક્ટરને ફાયદો થશે એવો આશાવાદ પણ પીએમએ આ પ્રસંગે ઉચ્ચાર્યો હતો. જૈવ વિવિધતાથી સભર જામનગરના દરિયાઈ વિસ્તારના સંરક્ષણ અને ઇકો ટુરીઝમના વિકાસ માટે મુખ્યમંત્રીએ આદરેલા પ્રયત્નોની પીએમ મોદીએ ભરપૂર સરાહના કરી હતી તથા આ સંદર્ભમાં દરિયાઈ પટ્ટી પર ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામોની સફાઈ બદલ મુખ્યમંત્રીશ્રીના પ્રયત્નોને બિરદાવ્યા હતા. ભાઈચારાથી ખભે ખભો મિલાવી દેશના વયસ્ક નાગરિકો માટે વિઘ્નનરહિત માર્ગનું નિર્માણ કરવા યુવાનોને આહવાન કર્યું હતું

    સૌરાષ્ટ્રમાં ૨૫ વર્ષ અગાઉ પાણી માટે વલખા મારવા પડતા અને આજે મા નર્મદા સ્વયં ગુજરાત-સૌરાષ્ટ્રની પરીક્રમા કરી ખેડૂતોને જન-જનને સમૃધ્ધિના માર્ગે લઇ જવા આશીર્વાદ આપી રહી છે તેમ જણાવી વડાપ્રધાને “ સૌની” યોજના ડબલ એન્જીનની સરકારે સાકાર કરી છે. 

    પીએમ મોદીએ જામનગરની જાહોજલાલીને નવી ઉંચાઇ સુધી લઇ જવી છે તેમ જણાવી ૩૬ હજાર કરોડના ખર્ચે નિર્માણ પામનાર કોરીડોરથી જામનગરના વેપાર-ધંધા ઉત્તર ભારત સાથે જોડાશે અને જામનગરની વૈશ્વિક ઓળખ વધુ મજબુત બનશે તેમ પણ કહ્યું હતું. 

    દેશની ઓઇલ રીફાઇનરીમાં જામનગરનો ૩૫ ટકા હિસ્સો છે તે સગૌરવ જણાવી જામનગરને સૌભાગ્યનગરી ગણાવી વડાપ્રધાને જામનગરના હસ્તકલા, બ્રાસ, બાંધણી, કંકુ, ચુડી સહિત નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહક સહાય આપી ગુજરાત સરકારે ગુજરાતને વધુ તેજ દિશામાં આગળ વધવા વિકાસલક્ષી ઉદ્યોગનીતિ અમલમાં મુકી છે તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારને અભિનંદન પાઠવ્યા હતા. 

    ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસની નવી મિસાલ કાયમ કરી છે તેમ જણાવી જામનગર – રાજકોટનો એન્જીનીયરીંગ સ્પેર પાર્ટસના ઉદ્યોગો પીનથી માંડીને એરક્રાફટના સ્પેર પાર્ટસ બનાવે છે અને હવે ઇકો-ટુરીઝમથી ઉદ્યોગ સાહસીકોને નવી તકો મળશે. જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન સાથે આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્થાન મળી રહ્યું છે તેમ જણાવી જામનગરની ઉદ્યમશીલતા ભારતના ખૂણે-ખૂણે સ્થાપિત થશે તેમ વડાપ્રધાનશ્રીએ  સરકારની વિકાસલક્ષી નીતિઓના સંદર્ભમાં કહ્યું હતું. 

    આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, એક સમયે સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે ટ્રેઇનો દોડતી  હવે સ્થિતિ બદલાઈ છે. નર્મદાના વહી જતા નીરને સૌરાષ્ટ્રમાં પહોંચાડવાના આ ભગીરથ કાર્યને લીધે સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોમાં નર્મદાના નીર આવી રહ્યા છે અને ઉમેર્યું હતું કે,  જામનગર જિલ્લાને સૌની યોજના લીંક-૩ પેકેજ-૭ અને લીંક-૧ પેકેજ-૫ લોકાર્પિત થતાં ૨ લાખ લોકોને લાભ મળવાની સાથે ૧૪૧ ગામોને પીવાનું પાણી મળશે. જામનગરના હરિપરા ખાતે ૪૦ મેગાવોટના સોલાર પ્રોજેકટની સ્થાપનાથી વિસ્તારને વીજ ઉપલબ્ધિ ક્ષેત્રે થનારા ફાયદા વિશે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે પીએમના માર્ગદર્શન હેઠળ આજે રીન્યુએબલ ઉર્જા ક્ષેત્રે પણ ગુજરાત દેશને દિશા બતાવી રહ્યું છે અને સોલાર રૂફટોપમાં દેશમાં નંબર-૧ બન્યું છે.

    પીએમ મોદીના હસ્તે થયેલા ખાતમુહૂર્ત, લોકાર્પણ
    જામનગર ખાતેથી રૂ. ૭૨૯.૧૫ કરોડના ખર્ચે ૧,૨૦,૦૦૦ થી વધુ લોકોને પીવાના પાણી તથા આશરે ૭૧,૯૬૭ એકર વિસ્તારને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવતી સૌની યોજના લીંક-૩/પેકેજ-૭ તથા રૂ. ૩૧૪.૬૯ કરોડના ખર્ચે ૬૫,૦૦૦થી વધુ લોકોને પીવાનું તથા આશરે ૩૧,૮૪૩ એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી પૂરી પાડતી સૌની યોજના લીંક-૧/પેકેજ-૫, હરિપર ગામે  રૂ. ૧૭૬.૮૯ કરોડના ખર્ચે ૪૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા આધુનિક ફોટો વોલ્ટીક સોલાર પ્રોજેક્ટ અને જામનગરમાં પટેલનગર ખાતે રૂ. ૯૯ લાખના ખર્ચે વાલ્મીકિ સમાજ કમ્યુનિટી હોલ સહિતના વિકાસ કાર્યો  લોકાર્પિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂ. ૩૯.૨૪ કરોડના ખર્ચે કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ. ૨૪.૭૪ કરોડના ખર્ચે મોરબી-માળીયા-જોડિયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના,  કુલ રૂ. ૧૦૭ કરોડના ખર્ચે તૈયાર થનારા લાલપુર બાયપાસ ઓવરબ્રિજ તથા હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રિજ,  રૂ. ૫૬ કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક તથા પમ્પીંગ મશીનરી રીફરબીશ વર્ક (૪-કમ્પોનન્ટ) સહિતના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતુ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!