૬૬ વર્ષના સવિતા બા.. નાનપણથી જ નવરાત્રિમાં ગરબા ગાવાનો અને ગરબે ઘૂમવાનો ખૂબ શોખ. સાસરીમાં પણ પતિ ઉદાર અને સાસુમા આધુનિક વિચારસરણી ધરાવતા હતા, એટલે એમનો શોખ વધુ ખીલ્યો હતો.પરિવારમાં એક દીકરો અને દીકરી, અને તેમને ત્યાં પણ મોટા સંતાનો હતા. હવે તો “સવિતા”. સવિતા બા બની ગયા હતા. તોપણ નવરાત્રિમાં મા અંબાની માટલી શણગારીને, માતાજીનો ફોટો મૂકીને ચોકમાં સાથીયા પૂરીને, બધાને ગરબા રમવા આવવાનું આમંત્રણ આપતા.નવરાત્રિ શરૂ થતાં રોજ ગરબે ઘુમીને ગરબા ગવડાવતા.
હજુ નવરાત્રી શરૂ થવાને પંદર દિવસની વાર હતી. એક દિવસ સવિતા બા નો પગ દાદર પરથી લપસ્યો. પગમાં ફેક્ચર થવાથી પ્લાસ્ટર બંધાયું, અને ત્રણ મહિનાનો ખાટલો થયો.
દવાખાનેથી ઘરે આવ્યા અને તેમણે પુરા પરિવારની વચ્ચે કહ્યું, “આજે પહેલીવાર મારાથી નવરાત્રિમાં ગરબા નહીં રમાય અને બોલતા બોલતાં તે રડી પડ્યા.”
તેમની વહુ અને દીકરીએ કહ્યું,” મમ્મી એમાં શું થઈ ગયું? તમે ગરબે ઘૂમી નહિ શકો, પણ ખુરશી પર બેસીને ગરબા ગવડાવી તો શકોને!! આપણે દર વખતની જેમ જ નવરાત્રિ ઉજવીશું. તમે ચિંતા નહીં કરો. પણ સવિતા બા ની ઉદાસી દૂર ન થઇ.
સવિતા બા નો, દીકરાનો દીકરો, સમીર વીસ વર્ષનો હતો. તેનાથી દાદીની ઉદાસી ન જોવાઈ.
નવરાત્રીનો તહેવાર પણ આવી ગયો. સાથિયા પુરાયા, મા અંબાની છબીને માંડવામાં મૂકી અને માટલી શણગારીને દીવો કર્યો. રાત પડી બધા ભેગા થવા લાગ્યા અને ગરબા શરૂ થયા. સવિતાબા ખુરશી પર બેસી ગરબો ગવડાવતા હતા પણ, તેમના મોં પર ઉદાસી હતી. અને અચાનક તેમનો પૌત્ર સમીર માતા છબી પાસે ગયો, માતાજીને પગે લાગ્યો અને પછી સવિતા દાદી પાસે આવ્યો ને પગે લાગ્યો અને દાદીને બે હાથોમાં ઊંચકીને, “જય માતાજી” બોલી ને ગરબે ઘૂમવા લાગ્યો. “જય માતાજી” ના નારા ગુંજી ઉઠ્યા. ઢોલ ધબૂક્યા.
નવ દિવસ આજ રીતે સમીર દાદી ને ઉંચકીને ગરબે ઘૂમ્યો..ને છેલ્લે દિવસે સવિતા બા ની આંખો પોતાના પૌત્રને આશીર્વાદ આપતા હરખના આંસુ થી છલકાઈ ગઈ..ને હર્ષોઉલ્લાસથી નવરાત્રીનો તહેવાર ઉજવાયો….